અંદાજિત રૂ. ૭ કરોડના ખર્ચે નિર્મિત આધુનિક ન્યાય મંદિર તાપી જિલ્લાના નાગરિકોને સમર્પિત કરતાં શ્રી સંઘવી
ન્યાય હંમેશા સરળ હોવો જોઈએ જે માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પરિણામલક્ષી પ્રયાસો કર્યા છે – નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી
–
ન્યાયની પારદર્શિતા અને સુલભતા માટે સરકાર પ્રતિબદ્ધ – શ્રી હર્ષભાઈ સંઘવી
તાપી જિલ્લાની ન્યાયપ્રણાલીની પ્રશંસા કરતા નાયબ મુખ્ય મંત્રીશ્રી શ્રી હર્ષભાઈ સંઘવી
માહિતી બ્યુરો, તાપી તા. ૦૯ :- ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તથા ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ તા. ૦૯ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ ઉચ્છલ તાલુકા ખાતે નવીન સિવિલ ન્યાય મંદિરનું લોકાર્પણ કર્યું હતું.
અંદાજિત રૂ. ૦૭ કરોડના ખર્ચે નિર્મિત આ આધુનિક ન્યાય મંદિર સ્થાનિક નાગરિકોને ન્યાયલય સંબંધિત સેવાઓ સરળતા અને સુવિધાથી ઉપલબ્ધ કરાવશે.
આ પ્રસંગે ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે આજે આપણે સૌ ન્યાયના મંદિરના લોકાર્પણના આ ઐતિહાસિક પ્રસંગે એવા પ્રદેશમાં ઉપસ્થિત છીએ, જે ગુજરાત–મહારાષ્ટ્રની સરહદ પર આવેલો છે. આ વિસ્તાર ગુજરાત રાજ્યમાં પ્રવેશતા સૌપ્રથમ તાલુકા તરીકે અનોખી ઓળખ ધરાવે છે. મહારાષ્ટ્રની બોર્ડરથી ગુજરાતમાં પ્રવેશતા માત્ર થોડા જ અંતરે આવેલું આ ન્યાયમંદિર એક પ્રકારથી ‘ગુજરાતમાં પ્રવેશતાં ન્યાયના પ્રથમ દ્વાર તરીકે જોઈ શકાય.
તેમણે ઉમેર્યુ કે, આ વિસ્તારની વિશિષ્ટતા એ છે કે અહીંના રેલવે પ્લેટફોર્મ પર એક બાજુ ‘ગુજરાત’ અને બીજી બાજુ ‘મહારાષ્ટ્ર’ લખેલું છે, એટલે કે એક જ પ્લેટફોર્મ પરથી બે રાજ્યોને જોઈ શકાય છે. કાયદા વ્યવસ્થાની દૃષ્ટિએ આવા વિસ્તારનું સંચાલન હંમેશા પડકારરૂપ રહે છે, છતાં તાપી જિલ્લાના ન્યાયતંત્રે તે જવાબદારી સફળતાપૂર્વક નિભાવી છે.
શ્રી હર્ષભાઈ સંઘવીએ તાપી જિલ્લાના સમગ્ર ન્યાયતંત્રને અભિનંદન પાઠવતાં જણાવ્યું કે, ઝડપી અને સુલભ ન્યાયની દિશામાં જિલ્લા કોર્ટો જે રીતે કાર્ય કરી રહી છે તે પ્રશંસનીય છે. આદિવાસી અને સરહદી વિસ્તારોના લોકો માટે જે નવી સુવિધાઓ ઉભી થઈ રહી છે, તેનાથી ન્યાય પ્રાપ્તિની પ્રક્રિયા વધુ સરળ બનશે.
નવા સિવિલ કોર્ટ ભવન વિશે જણાવતાં તેમણે કહ્યું કે, આ ભવન માત્ર વકીલો કે ગુનેગારો માટે નથી, પરંતુ સામાન્ય નાગરિકો, ખાસ કરીને મહિલાઓ માટે સુવિધાસભર રીતે તૈયાર કરવામાં આવ્યું છે. સાક્ષી તરીકે આખો દિવસ કોર્ટમાં રહેવા પડતાં લોકો માટે પણ યોગ્ય વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. સરકાર અને ન્યાયતંત્ર મળીને નાગરિકોને વધુ સગવડતા પૂરી પાડવા પ્રતિબદ્ધ છે.
શ્રી સંઘવીએ વધુમાં જણાવ્યું કે, ન્યાયતંત્ર જેટલું ઝડપી ન્યાય આપે છે, એટલી જ જવાબદારી પોલીસ અને સરકારી તંત્રની પણ છે. ગુનેગારો સામે મજબૂત પુરાવા અને સાક્ષીઓ તૈયાર કરવી તે અત્યંત જરૂરી છે. તેમણે, સરકારી વકીલોને દરેક કેસમાં માત્ર પીડિતના દ્રષ્ટિકોણથી ન્યાય મળે તે દિશામાં પ્રોત્સાહિત કર્યુ હતુ.
તેમણે કહ્યું કે, દરેક નાગરિકને ઝડપી, સરળ અને પારદર્શક ન્યાય મળવો એ બંધારણીય અધિકાર છે. આ અધિકારની પૂર્તિ માટે સરકાર અને ન્યાયતંત્ર ખભે ખભા મિલાવી સતત કાર્યરત છે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સરકાર ટ્રાન્સપેરન્સી, ઈફિશિયન્સી અને ગુડ ગવર્નન્સ માટે ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપી રહી છે. આ દિશામાં ગુજરાતની ન્યાયપાલિકાએ અગ્રણી ભૂમિકા ભજવી છે. ગુજરાત પહેલું રાજ્ય બન્યું છે જ્યાં હાઈકોર્ટની કાર્યવાહી યુટ્યુબ પર લાઈવ ટેલિકાસ્ટ કરીને પારદર્શિતાનું અનોખું ઉદાહરણ આપ્યું છે.
તે જ રીતે વર્ચ્યુઅલ કોર્ટ, ઈ-ફાઈલિંગ અને પેપરલેસ સિસ્ટમ જેવી નવી પહેલો ન્યાયપ્રણાલીનો અવિભાજ્ય ભાગ બની રહી છે. વડાપ્રધાનશ્રી કહે છે કે, ‘ન્યાય હંમેશા સરળ હોવો જોઈએ, પણ ક્યારેક તેની પ્રક્રિયા જટિલ બની જાય છે’. એ પ્રક્રિયાને સરળ બનાવવા સરકાર અને ન્યાયતંત્ર મળીને સતત પ્રયત્ન કરી રહ્યા છે.
આ તકે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ ડી.એમ. વ્યાસે જણાવ્યું હતું કે રાજ્ય સરકારના સહયોગથી નિર્માણ પામેલું આ નવું કોર્ટ બિલ્ડીંગ માત્ર માળખું નથી, પરંતુ છેવાડાના નાગરિકો માટે ઝડપી અને પારદર્શક ન્યાયનું આશાનું કિરણ છે. તેમણે કોર્ટ પરિસરની સ્વચ્છતા જાળવવાની સૌને અપીલ કરી હતી.
આ પ્રસંગે પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ તેજસ દેસાઈએ જણાવ્યું હતું કે ઉચ્છલની લાંબા સમયથી રહેલી આવશ્યકતા પૂર્ણ થઇ છે અને આ નવું કોર્ટ બિલ્ડીંગ નાગરિકોને નિષ્પક્ષ અને ઝડપી ન્યાય આપવા સહાયરૂપ બનશે.
આ પ્રસંગે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ટૂંક જ સમયમાં ચોરીનો બેદ ઉકલી ભોગ બનેલા વ્યારાના પરિવારને તમને સોનાના દાગીના અને રોકડ રકમ નાયબ મંત્રીશ્રીએ અર્પણ કરી હતી.
લોકાર્પણ પ્રસંગે તાપી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલિમસિંહ વસાવા,પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સુરજભાઈ વસાવા, જિલ્લા પોલીસવડા જશુ ભાઈ દેસાઈ,બાર એસોસિએસનના પ્રમુખશ્રી,ન્યાય વિભાગ સિનિયર જજીસો, વકીલો, એસોસિઅન ,વહીવટી તંત્ર, પોલીસ વિભાગ, બાર એસોસિએશન તથા સ્થાનિક આગેવાનો, નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.






